Monday, November 19, 2012

હોવાપણાનો ભાર હવે ઉપડે નહીં !

આશ્ચર્ય એ જ વાતનું મનમાં રહ્યા કરે,
ખાલીપણાનું ભાન કોઈને નડે નહીં.

વનમાં, ભૂલીને ભાન, રઝળતા પ્રવાસને,
ઊડતાં ઝીણાં પતંગિયા નજરે ચડે નહીં.

દૃશ્યોની પાર જાઉં છું ક્યારેક ટહેલવા,
આંખો મીંચાઈ જાય પછી ઊઘડે નહીં.

એના જીવનમાં હોય નહીં કોઇ તાજગી,
રસ્તામાં ચાલતાં જે પડે-આખડે નહીં.

મારી લથડતી ચાલના કારણમાં એટલું,
હોવાપણાનો ભાર હવે ઉપડે નહીં.

રસ્તામાં કોઈ ફૂલ શા માણસ મળ્યા હશે,
નહીંતર ‘અનિલ’ આટલો મોડો પડે નહીં.
- અનિલ જોશી

No comments: