Sunday, January 22, 2012

સુખ નું સરનામુ આપો !

                   


ગીત 

સુખ નું  સરનામુ આપો….  સુખ નું સરનામુ આપો
જીવનના કોઇ એક પાના પર એનો નકશો  છાપો.
સુખ નું સરનામુ  આપો…….
સૌથી  પહેલા એ સમજાવો   ક્યાંથી નીકળવાનું
કઇ તરફ  આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું
એના   ઘરનો  રંગ  કયો છે   ક્યાં છે એનો ઝાંપો..
સુખ નું સરનામુ  આપો…….
ચરણ   લઇને   દોડું  સાથે   રાખું   ખુલ્લી  આંખો
ક્યાંક   છુપાયું   હોય   આભમાં  તો  ફેલાવું પાંખો
મળતું   હો  જો   મધદરિયે  તો વહેતો મૂકું   તરાપો
સુખ નું સરનામુ  આપો…….
કેટલા    ગાંઉ,   જોજન,   ફલાંગ કહો   કેટલું દૂર
ડગ   માડું..   કે મારું  છલાંગ…. કહો   કેટલું  દૂર
મન   અને   મૃગજળ   વચ્ચેનું અંતર કોઇ માપો
સુખ નું સરનામુ  આપો…….





                          મિત્રો, રંગમંચનો  પ્રભાવ સાંપ્રત  સમાજમા  વરસોથી રહ્યો છે. ઘટેલી ઘટનાઓ, વાર્તાઓ, નાટકો, નૃત્યનાટિકાઓ, શેર- શાયરી, કવિતા, ગીત,  ગઝલ   આ તમામ  સાહિત્ય  અખબારોમા, સામાયિકોમા  કે   પુસ્તકાલયોની   વાંચનસામગ્રીમા  જે તે સમયે   અથવા સમય જતા મળી આવતું હોય છે. પરંતુ  એ જ  સાહિત્ય  ની અભિવ્યક્તિ  કે  રજૂઆત જ્યારે  રંગમંચના તખ્તા પરથી થાય છે  ને ત્યારે ..  ! સમાજના બુધ્ધિશાળી વર્ગને તો આકર્ષે છે પણ સાથે સાથે   સામન્ય અને સરેરાશ માનવીને પણ  સાહિત્યના અને   ભાષાના મૂળ,  ઊંડાણ  અને તત્વ સુધી  આવવા મજબૂર કરે છે.    મિત્રો .. પ્રસ્તૃત  વીડિયો ક્લીપમા  જાણીતા કવિ  ડૉ.શ્યામલ મુન્શીનુ આ ગીત  એમનાજ  સ્વરમા મે જ્યારે મુશાયરાના મંચ પરથી સાંભળેલું   ત્યારે જ   દિલને  સ્પર્શી ગયું હતુ  અને  એટલે જ  આ સામગ્રી   મારા પૂરતી ન રાખતા  તમારી સાથે Share   કરું છું.  મિત્રો…    ગીતના  વિષયતત્વનુ બારીકાઇથી ચિંતન  કરવાથી   આપણને આપણો જ   પડછાયો ગીતમા    હૂબહુ  દેખાઇ આવશે.. આ મારો  દાવો નથી.. પણ… વિશ્વાસ છે.. અને  જો  એમ ના થાય તો..   માનજો કે  આપણા    ’હોવાપણા’  મા કંઇક   ખામી છે.. ગીતનુ શબ્દાંકન  એ એમની સશક્ત કલમ અને કવિત્વનો તો  પૂરાવો છે  જ પણ સાથે  સાથે  ગીતનું સ્વરાંકન  અને એમના અવાજની ખૂબસૂરતી… ક્યા બાત  હૈ.. મિત્રો..  આ ત્રણે વાતનો સમન્વય ત્યારે જ શક્ય બને .. જ્યારે ..  માનવી બંને હાથ જોડી  નતમસ્તકે  મા સરસ્વતીના  ચરણમા  પથરાયો હોય અને મા સરસ્વતીનો હાથ મસ્તક પર ધરાર અડ્ડી ને  હોય…  મિત્રો.. આ  તો  મારા દિલની વાચા છે એટલા માટે  આટલુ લખી ગયો..  બાકી ..    આમ પણ   આ  મુન્શી ત્રિપુટિ  ડો.શ્યામલભાઇ, શૌમિલભાઇ અને આરતીબેન થી  ગુજરાતી સાહિત્યજગત ક્યાં અજાણ્યુ છે..  શ્યામલભાઇના  કાવ્યપઠન પછી  શ્રોતા અને ભાવકોની  દાદ … તમે જાતે જ જોઇલો ને…


ડૉ. શ્યામલ મુન્શી

 (વીડિયો સૌજન્ય :  શિકાગો આર્ટ સર્કલના ભંડોળ માંથી )


No comments: